બેઉની ઘડિયાળનો જ્યારે સમય મળતો નથી,
એજ કારણ હોય છે, એવો પ્રણય ફળતો નથી.
તેં કહ્યું'તું સાત વાગે, હું પહોંચ્યો સાત પાંચે,
કઈ રીતે કોઈ નગરની ભીડમાં ઘડિયાળ વાંચે ?
તોય તે દોડ્યો હતો હું કેટલું,
તું છો ન માને,
તું વળી ગઈ સાવ અણજાણી ગલીમાં, કોઈ બહાને,
હું કદી કોઈ માર્ગમાં અણ ચિંતવ્યું વળતો નથી,
એ જ કારણ છે, પ્રણય આ આપણો ફળતો નથી.
થાય છો મોડું કે વહેલું ,
કાનમાં બે વાત કહીએ,
આપણે જ્યારે મળીએ એ સમયને સાત કહીએ !
આપણી વચ્ચે ખરે
એ પળને પારિજાત કહીએ,
ને સુગંધે મ્હેકાવાને
સ્નેહની શરૂઆત કહીએ.
છે નિરર્થક જામ એ
કે જામ જે ગળતો નથી..
એજ કારણ છે , પ્રણય આ આપણો ફળતો નથી.
No comments:
Post a Comment