Tuesday, March 27, 2012

"તુષાર શુક્લ"

બેઉની ઘડિયાળનો જ્યારે સમય મળતો નથી,
એજ કારણ હોય છે, એવો પ્રણય ફળતો નથી.
તેં કહ્યું'તું સાત વાગે, હું પહોંચ્યો સાત પાંચે,
કઈ રીતે કોઈ નગરની ભીડમાં ઘડિયાળ વાંચે ?
તોય તે દોડ્યો હતો હું કેટલું,
તું છો ન માને,
તું વળી ગઈ સાવ અણજાણી ગલીમાં, કોઈ બહાને,
હું કદી કોઈ માર્ગમાં અણ ચિંતવ્યું વળતો નથી,
એ જ કારણ છે, પ્રણય આ આપણો ફળતો નથી.
થાય છો મોડું કે વહેલું ,
કાનમાં બે વાત કહીએ,
આપણે જ્યારે મળીએ એ સમયને સાત કહીએ !
આપણી વચ્ચે ખરે
એ પળને પારિજાત કહીએ,
ને સુગંધે મ્હેકાવાને
સ્નેહની શરૂઆત કહીએ.
છે નિરર્થક જામ એ
કે જામ જે ગળતો નથી..
એજ કારણ છે , પ્રણય આ આપણો ફળતો નથી.

No comments:

Post a Comment